Mysamachar.in:ગુજરાત
સુપ્રિમ કોર્ટમાં એક નવું મૂવ શરૂ થયું છે. દેશ અને રાજયોના રાજકારણમાં ગુનાખોરી ઘટાડવા એક વધુ ભલામણ થઈ છે. આ ભલામણ એમિકસ કયૂરી એટલે કે કોર્ટ મિત્ર દ્વારા થઈ છે. એમિકસ કયૂરીએ સુપ્રિમ કોર્ટમાં ભલામણ કરી છે કે, કોઈ પણ ગુનામાં સાંસદ અથવા ધારાસભ્ય દોષિત ઠરે છે તો તેઓ છ વર્ષ સુધી ચૂંટણીઓ લડી શકે નહીં એવો હાલ કાયદો છે. આ કાયદામાં સુધારાઓ કરીને, આ પ્રકારના દોષિત નેતાઓ આજિવન ચૂંટણીઓ ન લડી શકે તેવો પ્રતિબંધ મૂકવો જોઈએ.
મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય યશવંત ચંદ્રચૂડના અધ્યક્ષપદ હેઠળની બેન્ચ સમક્ષ કોર્ટ મિત્ર વિજય હંસારિયોએ કહ્યું : સાંસદ અને ધારાસભ્ય જનતાની સંપ્રભુ ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. એક વખત તેઓ નૈતિક અધમતા સંબંધિત ગુનાઓ કરવા દોષિત ઠરે તો તેઓને ચૂંટણીઓ લડવા માટે સ્થાયીરુપે અયોગ્ય ઠેરવી દેવા જોઈએ. હંસારિયોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, કેન્દ્રીય વિજિલન્સ કાયદા,2003 અને લોકપાલ તથા લોકાયુકત કાયદા,2013 હેઠળ દોષિત ઠેરવાયા પછી સ્થાયી અયોગ્યતા ધારણ કરવાથી હટાવવાની જોગવાઇ છે. કલમ 8 હેઠળ ગુનાને ગંભીરતા તથા ગુનાના આધાર પર વર્ગીકૃત કરાઈ છે પરંતુ દોષિત ઠર્યા બાદ બધાં જ કેસમાં અયોગ્યતા માત્ર 6 વર્ષ માટે જ છે.
કોર્ટ મિત્રએ પોતાના રિપોર્ટમાં સિવિલ સેવકો સંબંધિત નિયમો તરફ ઈશારો કર્યો છે. અનૈતિક કાર્યો સંબંધિત કોઈ પણ ગુના માટે દોષિત ઠેરવાયેલા કર્મચારીને બરખાસ્ત કરવાની સરકારમાં જોગવાઇ છે. અને કેન્દ્રીય વિજિલન્સ કમિશન તથા માનવાધિકાર પંચ જેવા કાયદાકીય એકમો સંબંધિત કાયદાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. જેમાં આવા ગુનાઓ માટે દોષિત ઠેરવાયેલી કોઈ પણ વ્યક્તિ ટોચના પદો પર નિમણૂંક માટે સ્પષ્ટરુપે અયોગ્ય ઠરે છે. કોર્ટ મિત્રએ તર્ક આપ્યો છે કે, કોઈ કાયદાકીય પદ પર કોઈ દોષિત અધિકારી કે પ્રાધિકારીની નિમણૂંક થઈ શકતી નથી તો એ સ્પષ્ટરૂપે અતાર્કિક છે કે, આ જ પ્રકારની સજા માટે દોષિત કોઈ વ્યક્તિ સજાની મુદ્દત પૂરી થયા પછી દેશ અથવા રાજયના સર્વોચ્ચ વિધાનમંડળ સંસદ અથવા વિધાનસભા-વિધાન પરિષદમાં આવીને બેસી શકે. કાયદા નિર્માતાઓ આવા કાયદા હેઠળ પદો સંભાળનારી વ્યક્તિઓની સરખામણીએ વધુ પવિત્ર અને અભેદ્ય હોવા જોઇએ.
ભાજપા નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા 7 વર્ષ પહેલાં સુપ્રિમ કોર્ટમાં આ સંબંધે એક અરજી કરવામાં આવેલી જે અરજીના અનુસંધાને આ કોર્ટ મિત્રની નિમણૂંક થયેલી. આ કોર્ટ મિત્રના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, દોષિત નેતાઓને 6 વર્ષ પછી ફરીથી ચૂંટણીઓ લડવાની મંજૂરી આપવી સ્પષ્ટરુપે મરજી મુજબનું અને બંધારણની કલમ 14 નો ભંગ છે. બંધારણની કલમ 14 સમાનતા અને કાયદાની સમાન સુરક્ષાની ખાતરી આપે છે. આ રિપોર્ટમાં ધારાસભ્યો અને સાંસદો વિરુદ્ધના પડતર કેસોના વહેલી તકે ઉકેલ લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.