Mysamachar.in:ગુજરાત
આપણાં સમાજમાં વિવિધ પ્રકારના સિવિલ કેસ – દિવાની કેસો ચાલતાં રહેતાં હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, દિવાની વિવાદનાં કોઈ પક્ષકાર પર દબાણ લાવવાનાં હેતુથી, અન્ય પક્ષકાર દ્વારા ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે. આવો એક કેસ તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં અદાલતે જણાવ્યું હતું કે, માત્ર કરારભંગનો આરોપ ફોજદારી કાર્યવાહી માટે પૂરતો નથી. આ કેસમાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, માત્ર કરારનું ઉલ્લંઘન કરવાની બાબત ફોજદારી કેસ કરવાનો આધાર ન હોય શકે. આવી ફરિયાદોમાં પ્રારંભિક તબક્કે બદઈરાદાનો સંકેત મળવો જરૂરી છે.
ન્યાયમૂર્તિઓ એ એસ ઓકા અને રાજેશ બિંદાલની બેન્ચે કહ્યું હતું કે, માત્ર વચન પાળવામાં નિષ્ફળતાનો આરોપ ફોજદારી પ્રક્રિયા શરૂ કરવા માટે પૂરતો નથી. બેન્ચે જણાવ્યું હતું કે, કરારના ઉલ્લંઘનથી છેતરપિંડી માટે ફોજદારી કેસોમાં વધારો થઈ શકે નહીં. આવા કેસમાં બદઈરાદા કે અપ્રમાણિક વ્યવહારની જાણ સોદાની શરૂઆતમાં થઈ હોય તો જ, ફોજદારી ફરિયાદ થઈ શકે. માત્ર વચન પાળી શકવામાં નિષ્ફળતાનો આરોપ ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતો નથી.
સુપ્રિમ કોર્ટે પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના એક ચુકાદાને રદ્ કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. હાઈકોર્ટે જમીનનાં વેચાણના એક કેસમાં એક વ્યક્તિ સામે આઈપીસીની કલમ -420(છેતરપિંડી), 120-B(ફોજદારી ષડયંત્ર) અને 506(ફોજદારી ધમકી) હેઠળ કરાયેલી FIR રદ્ કરવાનો ઈન્કાર કર્યો હતો. સરબજિત કૌર નામનાં પક્ષકારે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રિમ કોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે, પુરાવાઓ પરથી સ્પષ્ટ છે કે, પ્રથમ ફરિયાદમાં સરબજિત કૌર પર કોઈ આરોપ મૂકાયા ન હતાં. કવાયતનો હેતુ દિવાની વિવાદને ફોજદારી કેસમાં ફેરવી, આરોપી પર ચૂકવાયેલી કથિત રકમ પરત કરવા માટે દબાણ વધારવાનો છે. ફોજદારી કોર્ટ દિવાની વિવાદો ઉકેલવા પક્ષકારો પર દબાણ વધારવા માટે નથી. આવા પ્રયાસોની ફોજદારી કોર્ટસએ નોંધ લેવી જોઈએ, એમ પણ સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવાયું હતું.