Mysamachar.in:ગુજરાત
ગુજરાત અને ભારત છોડી વિદેશોમાં સ્થાયી થવું એક પ્રકારનો ટ્રેન્ડ પણ છે. ઘણાં લોકો નાણાં કમાવા, ઘણાં લોકો કેરિયર બનાવવા, ઘણાં લોકો ક્વોલિટી લાઈફ જિવવા તથા ઘણાં લોકો ધંધો કરવા તથા ઘણાં ગુનેગારો કાયદાથી બચવા – આ પ્રકારના રસ્તાઓ કાયદેસર રીતે અથવા ગેરકાનૂની રીતે અપનાવતાં હોય છે. ગુજરાતમાં આ ટ્રેન્ડ તથા રેકેટ દાયકાઓથી ચાલે છે ! અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ પ્રકારના લોકોમાં જામનગરનાં એક ગેંગસ્ટરનો પણ સમાવેશ થાય છે. જેણે પોતાનું જન્મસ્થળ દમણ દેખાડી, પોતે પોર્ટુગીઝ નાગરિક છે એવું કાગળો પર દેખાડી જામનગર, ગુજરાત, ભારત છોડી દીધું. અને, ઉડીને જતો રહ્યો ! અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં તથા ગુજરાતનાં ઉમરેઠમાં પણ આ પ્રકારના રેકેટ ચાલે છે. જેનાં એજન્ટો પણ છે ! અમેરિકા સ્થાયી થવા ગુજરાતમાંથી ઘણાં લોકો આ રીતે ગેરકાયદે ઇમિગ્રેશન મેળવી લ્યે છે ! ડિંગુચા ટ્રેજેડી પછી, અમેરિકાએ ભારતીયો માટે વિઝા પ્રોસેસ અઘરી બનાવી તેથી ઘણાં માનવ તસ્કરો આ જૂની મોડ્સ ઓપરેન્ડી તરફ વળ્યા છે. આ પ્રકારના એજન્ટો પોતાનાં ગ્રાહકોને પોર્ટુગીઝ નાગરિક દેખાડી પોર્ટુગલ પહોંચાડી દયે છે, ત્યાંથી આવા ગેરકાયદે વસાહતીઓ અમેરિકા પહોંચી જાય છે !
હાલમાં ગુજરાત અને દિલ્હીની પોલીસ માઇગ્રેશન કૌભાંડની તપાસ ચલાવી રહી છે. જેની સાથે સંકળાયેલા સૂત્રો કહે છે, આ પ્રકારના એજન્ટો દમણ અને ગોવા જન્મસ્થળ દેખાડતાં જન્મ પ્રમાણપત્ર મેળવી લ્યે છે અને એ રીતે પોતાના ગ્રાહકોને અમેરિકા પહોંચાડી દે છે. ભૂતકાળમાં જામનગરનો એક ગેંગસ્ટર પણ આ રીતે ભાગી ગયો હતો.2022ની 19મી જાન્યુઆરીએ અમેરિકા અને કેનેડાની સરહદે ચાર ગુજરાતીઓનાં થીજી ગયેલાં મૃતદેહો મળી આવ્યા પછી, ગુજરાત તથા દિલ્હી પોલીસે આ પ્રકારના કૌભાંડ પર નજર સ્થિર કરી હતી. જેમાં આ વિગતો બહાર આવવા પામી છે. રાણીપ તથા ઉમરેઠમાં આ પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે. આ કૌભાંડ માત્ર એજન્ટો નથી ચલાવતાં, બે ગેંગ આ રેકેટ ચલાવી રહી છે ! ઉમરેઠ આણંદ જિલ્લામાં છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ તથા આણંદ જિલ્લામાં વિદેશોમાંથી ચિક્કાર નાણું ઠલવાઈ રહ્યું છે ! તાજેતરમાં વલસાડનો નિલેશ પ્રજાપતિ અમદાવાદ એરપોર્ટ ખાતે ઝડપાઈ ગયો છે. આ શખ્સ ભૂતકાળમાં બે અન્ય દેશોનો પ્રવાસ કરી ચૂક્યા પછી અમેરિકા પહોંચી ગયો હતો. જ્યાં લીગલ પ્રોબ્લેમ ઉભાં થતાં તે પરત ભારત આવેલો અને ફરી અમેરિકા જતી વખતે અમદાવાદ એરપોર્ટ પર પકડાઈ ગયો. તે ભૂતકાળમાં પોર્ટુગલથી અમેરિકા ગયો હતો.
થોડાં સમય પહેલાં પોરબંદર જિલ્લાનો એક શખ્સ બ્રિટનથી ભારત પરત આવ્યો ત્યારે ગુજરાતમાં ઝડપાઈ ગયો હતો. આ શખ્સનું નામ લાખણશી કેશવાલા, જે પોરબંદર જિલ્લાના બેરણ ગામનો વતની છે. અને, તે પોર્ટુગીઝ પાસપોર્ટ પર પ્રવાસ કરી રહ્યો હતો. તેની પાસેનો પાસપોર્ટ પણ બનાવટી હતો ! જે તેણે વિદેશમાં મેળવ્યો હતો. આ પાસપોર્ટ કોઈ મહેન્દ્ર લક્ષ્મણ નામની વ્યક્તિનો હતો ! જેમાં લાખણશીએ કળા કરી. આ જ રીતે થોડાં સમય પહેલાં, આણંદનાં ખંભાતનો 34 વર્ષનો કાર્તિક પટેલ દિલ્હી એરપોર્ટ પર પકડાઈ ગયો હતો. તે કોઈ વિદેશી નામ તથા ઓળખ હેઠળ વિમાનપ્રવાસ કરી રહ્યો હતો ! આ શખ્સને દિલ્હી પોલીસે પકડ્યો હતો. ભૂતકાળમાં આ શખ્સ, આ જ પાસપોર્ટનાં આધારે ડબલીન ગયેલો અને તે પછી ભારત પણ આવ્યો હતો. પછી ફરી વિદેશ ગયો અને પરત આવ્યો ત્યારે દિલ્હીમાં ઝડપાઈ ગયો ! આ પ્રકારના કુંડાળા ગુજરાત સહિત દેશભરમાં દાયકાઓથી ચાલી રહ્યા હોવાનું સમજાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતીઓ પૈકી લાખો લોકો વિદેશોમાં સ્થાયી થયા છે. મસ્કત અને કુવૈત સહિતનાં આરબ દેશોમાં પણ ગુજરાતીઓ પુષ્કળ છે – જેનાં પર ફોક્સ થાય તો પણ, આ પ્રકારના ઘણાં કુંડાળા બહાર આવી શકે, એમ જાણકાર વર્તુળોમાંથી સાંપડતી માહિતી દર્શાવે છે.