Mysamachar.in:ગુજરાત
ધોરણ એકમાં પ્રવેશ મુદ્દે ગુજરાતમાં અંતે નિર્ણય લેવાઈ ગયો છે એવું આડકતરી રીતે જાહેર થયું છે. જે બાળકે છ વર્ષ પૂર્ણ નહીં કર્યા હોય, તે બાળકને ધોરણ એકમાં કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં એવું આપોઆપ હવે જાહેર થઈ ગયું છે. કેમ કે, આ પ્રકારના બાળકોને બાલવાટિકામાં ભણાવવામાં આવશે એવું જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારનાં વિવિધ વિભાગોનાં મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, આ બેઠકમાં લેવામાં આવેલાં નિર્ણય અનુસાર જે બાળકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય પરંતુ છ વર્ષ પૂર્ણ ન થયાં હોય તેવાં બાળકોને એક વર્ષ બાલવાટિકામાં ભણવાનું રહેશે. આ પ્રકારની વય ધરાવતા જે બાળકો બાલવાટિકામાં જતાં ન હોય તેવાં બાળકોને સરકાર શોધી કાઢશે અને બાલવાટિકામાં ભણવા મોકલશે.
આ ઉપરાંત આ બેઠકમાં એ નિર્ણય પણ લેવાયો છે કે, LKG અને UKG માટેની જે પ્રિ-પ્રાઈમરી સ્કૂલો છે તે તમામ સ્કૂલોની નોંધણી અને તેમાં ભણતાં તમામ બાળકોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. બાલવાટિકાનાં શૈક્ષણિક કર્મચારીઓને GCERT હેઠળ તાલીમ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, જે બાળકોને છ વર્ષ પૂર્ણ ન થયાં હોય તેવાં બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવા મુદ્દે ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી થોડાં સમય પહેલાં પત્ર લખી માર્ગદર્શન માંગ્યું હતું. જે પછી આ જાહેરાત થવા પામી છે. તેનો અર્થ એ છે કે, કેન્દ્ર સરકારે જણાવી દીધું છે કે, છ વર્ષ પૂર્ણ ન થયાં હોય તેવાં બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેવાં બાળકોએ છે વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી બાલવાટિકામાં ભણવાનું રહેશે. આમ આ વિવાદનો અહીં અંત આવ્યો છે એમ કહી શકાય.