Mysamachar.in-ગુજરાત:
જ્ઞાન સૌથી મોટી સંપત્તિ છે અને હાલનો યુગ નોલેજ અને માહિતીઓનો યુગ છે. જામનગર સહિત સમગ્ર રાજ્યનાં છાત્રો અને છાત્રાઓ આગામી સમયમાં શિક્ષણનાં સંદર્ભમાં પણ ગ્લોબલ બની શકે તેવી તકો આકાર લઈ રહી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)એ ગુરૂવારે આ જાહેરાત કરી છે. કમિશન કહે છે: હવે ગુજરાત સહિતના રાજ્યોમાં વિદેશી યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસ શરૂ કરી શકશે. જો કે એ માટે આ યુનિવર્સિટીઓએ કેટલાંક નિયમો અને પ્રક્રિયાઓને અનુસરવું પડશે. વિદેશી યુનિવર્સિટીઓ આવતાં આપણે ઘરઆંગણે ગ્લોબલ શિક્ષણ પ્રાપ્ત કરી શકીશું. ક્વોલિટી એજ્યુકેશન વધશે. સ્પર્ધાઓ વધશે. સમાજનાં વિવિધ વર્ગોના છાત્રો તથા છાત્રાઓને પસંદગીની વિશાળ તકો ઉપલબ્ધ થશે.
કમિશને આ માટે પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે. જેમાં પ્રવેશપ્રક્રિયા, ફી નું ધોરણ તથા ભંડોળ સંબંધી વિદેશી યુનિવર્સિટીઓ માટેનાં નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ કમિશને દાખવી છે. એટલે કે, આ યુનિવર્સિટીઓને ઘણાં અંશે સ્વાયત્તતા આપવામાં આવશે. જો કે, તો પણ કમિશને એમ કહ્યું છે કે – આ તમામ બાબતો અંગે વિદેશી યુનિવર્સિટીઓને કમિશન દ્વારા કેટલીક સલાહો આપવામાં આવી છે.
ભારતમાં કેમ્પસ સાથેની વિદેશી યુનિવર્સિટીઓ માત્ર ઓફલાઈન ફૂલટાઈમ પ્રોગ્રામ ઓફર કરી શકશે. જો કે, ઓનલાઇન તથા ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન માટે આ યુનિવર્સિટીઓએ મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં એમ કમિશનના ચેરમેન એમ. જગદીશકુમાર કહે છે. આ યુનિવર્સિટીઓને પ્રારંભિક તબક્કામાં માત્ર દસ વર્ષ માટે મંજૂરી આપવામાં આવશે અને નવમા વર્ષે નિયમો અનુસાર, વધુ વર્ષોની મંજૂરી રિન્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેઓએ એ સ્પષ્ટતા પણ કરી છે કે, દેશનાં રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડી શકે તેવા અથવા ઉચ્ચ શિક્ષણ માટેનાં નિયમોનું પાલન ન કરતાં હોય એ પ્રકારના અભ્યાસક્રમો આ યુનિવર્સિટીઓ ચલાવી શકશે નહીં.
હાલમાં કમિશને આ તમામ બાબતો માટે પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે અને હવે દરેક પક્ષકારો સાથે ચર્ચા કરી આખરી નિયમો ઘડવામાં આવશે. સંભવતઃ ફેબ્રુઆરીનાં અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી આખરી નિયમો જાહેર કરવામાં આવશે. કમિશનનું માનવું છે કે, ઉચ્ચ રેટિંગ ધરાવતી વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં આવવાથી આપણાં શિક્ષણને એક અલગ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવામાં મદદ મળી રહેશે. ભારતનાં યુવાઓ વાજબી ખર્ચથી આકર્ષક શિક્ષણ મેળવી શકશે અને ભારત ગ્લોબલ સ્ટડી માટેનું સ્થળ બની શકશે. અત્રે નોંધનીય છે કે, હાલમાં પણ ભારતમાં ઘણાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ભારતમાં આવનારી પ્રત્યેક વિદેશી યુનિવર્સિટીએ વાર્ષિક ઓડિટ ફરજિયાત રીતે કરાવવાનું રહેશે.
વિદેશી યુનિવર્સિટીઓ માટે બે કેટેગરી રાખવામાં આવી છે. એક : વિશ્વની ટોપ ફાઈવ 500 પૈકીની યુનિવર્સિટી અરજી કરી શકશે તથા વિદેશની કોઈ પણ યુનિવર્સિટી જો પોતાના દેશમાં રાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી હશે તો, ભારતમાં કેમ્પસ સહિતની મંજૂરીઓ માટે અરજી કરી શકશે.