Mysamachar.in-ગુજરાત:
કોરોનાકાળ ખાસ કરીને ગુજરાતમાં તથા મહારાષ્ટ્રમાં ખતરનાક પૂરવાર થયેલો. કાળ બનીને ત્રાટકેલી આ મહામારી કોરોનાકાળ પૂર્ણ થયાં પછી પણ, ચિંતાજનક આફટરશોકસ દેખાડી રહી છે ! 2022નાં જાહેર થયેલાં આંકડા ગંભીર છે. પાછલાં પાંચ વર્ષની સરેરાશ કરતાં 2022નાં મેડિકલ ઈમરજન્સીનાં આંકડા ઉંચા આવ્યા છે. હજારો લોકો સંભવતઃ કોરોનાની પાછોતરી અસરોને કારણે આજે પણ પરેશાન છે !
આંકડાઓ મુજબ, પાછલાં ચાર વર્ષ દરમિયાન ડાયાબિટીસ સંબંધિત મેડિકલ ઈમરજન્સીનાં કેસ દર વર્ષે સરેરાશ 12,289 નોંધાયા પછી, 2022માં આ આંકડો 16,104 નોંધાયો છે જે સરેરાશની સરખામણીમાં 31 ટકાનો તોતિંગ ઉછાળો દેખાડે છે. ટ્રોમાનાં કેસોની પાછલાં ચાર વર્ષની સરેરાશ 1,03,382 રહી હતી. જે વર્ષ 2022માં 1,20,236 જોવા મળી. જે સોળ ટકાનો નોંધપાત્ર વધારો સૂચવે છે.
શ્વાસની તકલીફોની વાત કરીએ તો, ચાર વર્ષની સરેરાશ 65,742 રહી. 2022 માં આ પ્રકારની મેડિકલ ઈમરજન્સીનાં કેસ 74,780 નોંધાયા, જે 14 ટકા વધુ છે. એ જ રીતે હ્રદયની મેડિકલ ઈમરજન્સીનાં કેસ સરેરાશ રીતે પાછલાં ચાર વર્ષ દરમિયાન 51,170 રહ્યા. જે 2022માં દસ ટકા વધીને 56,277 થયાં.
કોરોના પછી લોકોનાં ફેફસાં અને હ્રદય પર ઘણી માઠી અસરો જોવા મળી રહી છે. પ્રેક્ટિકલી પણ લોકોનો અનુભવ આવો રહ્યો છે ! કોરોનામાંથી પસાર થયેલાં હજારો લોકો આ પ્રકારની તકલીફો સહન કરી રહ્યા છે. લોકોએ હ્રદય તથા ફેફસાં મજબૂત કરવા પર ધ્યાન આપવું પડશે. કોરોનાએ ફેફસાં પર મોટું આક્રમણ કર્યું છે. નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટસ પણ કહે છે: કોવિડની મહામારીએ લોકોનાં હ્રદય પર ઘણી અસરો કરી છે.
ઘણાં નિષ્ણાતો એમ પણ કહે છે કે, કોરોના મહામારી પછી લોકોમાં આરોગ્ય સંબંધી જાગૃતિ વધતાં લોકો મેડિકલ ઈમરજન્સી પર વધુ ધ્યાન આપે છે. તુરંત સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી જાય છે. જેને પરિણામે આ રોગ ડીટેકટ થવાની સંખ્યા પણ વધી રહી છે.