Mysamachar.in-ગુજરાત:
પ્રત્યેક એકસો વ્યક્તિ સાથે વાત કરો, નવ્વાણું વ્યક્તિ એમ કહે: નવીનમાં કાંઈ નથી ! ગુજરાતમાં આ વખતની ચૂંટણી આટલી નિરસ કાં ?! સર્વત્ર આ જ ચર્ચા ! કેટલાંક વળી એમ પણ કહે છે: આ શાંતિ તોફાન પહેલાંની છે, EVM માં તરખાટ મચાવી દેશે, મતદારો !! ખરેખર એવું બનશે ?! આ મુદ્દે મતદારોમાં ઉતેજના જોવા મળે છે. ત્રણેય મુખ્ય પક્ષો સોશિયલ મીડિયામાં જબ્બર તાકાત ધરાવે છે. મોટી ફૌજ છે. લાખ્ખો રૂપિયાનો ખર્ચ થાય છે. નવાં નવાં ગતકડાંઓ વહેતાં કરવામાં આવી રહ્યા છે પરંતુ સમગ્ર રાજ્યમાં વાવાઝોડા માફ્ક વાયરલ થતો હોય એવો એક પણ મુદ્દો, સૂત્ર, ઓડિયો-વીડિયો કલીપ- કશું જ બજારમાં નથી ! કશું જ ચપોચપ ઉપડયુ નથી ! રાજકીય પક્ષો અને પ્રચાર માધ્યમોમાં ચૂંટણી જોવા મળે, એટલું જ ! મતદારો નિરસ !!
ઘણાં લોકો એવું પણ કહે છે કે, નેતાઓ અને કાર્યકરો બોલી શકવાની સ્થિતિમાં નથી. આઝાદીનાં પંચોતેર વર્ષ પછી પણ લોકો અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ! કોઈને, કશો ઉમંગ નથી. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત મતદારોનાં જીવનનું હીર જાણે કે, હરાઈ ગયું છે ! મતદારો મનમાં સમસમી રહ્યા છે. તેથી તેઓ કશું જ બોલતાં નથી. તેઓ પાનાં ખોલવા ઈચ્છતા નથી. સીધો જ જનોઈવઢ ઘા કરશે, EVM માં !! આ ડરથી નેતાઓ અને કાર્યકરો પણ ક્યાંય, વધુ ઉત્સાહિત દેખાતાં નથી.
રાબેતા મુજબની ચૂંટણી સભાઓ અને નિરસ લોકસંપર્ક વચ્ચે સર્વત્ર બોઝિલતા, ભારેખમપણું દેખાઈ રહ્યા છે. અન્ય ચૂંટણીઓની સરખામણીમાં આ ચૂંટણી અલગ દેખાઈ રહી છે ! આ શાંતિ તોફાન પહેલાંની છે ?! EVM માં વંટોળિયો સર્જાશે ?! કે, ઘણાં બધાં લોકો મતદાનથી પણ દૂર રહેશે ?! વગેરે પ્રકારના ભય ચર્ચાઈ રહ્યા છે ! કેટલાંક લોકો તો વળી એમ પણ કહે છે કે, આ વખતે ચૂંટણી પરિણામો પણ અચરજ સર્જે તો નવાઈ નહીં ! સર્વત્ર, સન્નાટા સિવાય કશું જ વાયરલ નથી ! આ શાંતિ ઘણાં લોકોનાં BP લો કરી રહી છે ! આઠમી ડિસેમ્બરે શું થશે ?! બસ, ઈંતજાર કરીએ !!