Mysamachar.in-ગુજરાત:
આજે વહેલી સવારથી રાજ્યમાં ભર શિયાળે જાણે ચોમાસાની ઋતુ હોય તેવો આકાશી માહોલ સર્જાયો છે, તો કેટલાક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભરશિયાળે કમોસમી વરસાદથી ખાસ તો ખેડૂતોમાં ચિંતા વધી છે. આ રીતે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. તો માવઠાથી ખેતરમાં તૈયાર થયેલ પાક નિષ્ફળ જવાનો ભય ઝળુંબી રહ્યો છે, એક તરફ ચોમાસું પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો છે. તો બીજી તરફ શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે. ત્યારે માવઠાથી ખેડૂતોની મુસીબત વધી ગઈ છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે સવારથી 19 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ જામનગરમાં પણ કમોસમી વરસાદની આગાહીને પગલે જામનગરના હાપા અને કાલાવડ માર્કેટ યાર્ડમાં નવી જણસીની નવી આવક પર બંધ કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ખુલ્લામાં રાખવામાં આવેલી જણસી પલળી ન જાય તે માટે યાર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. વાતાવરણ પહેલાની માફક ન થાય ત્યાં સુધી નવી જણસીની આવક કરવા દેવામાં નહિ આવે તેવી જાહેરાત કરાઈ છે.