Mysamachar.in-ગુજરાત:
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ યોજનાઓ અંગે ઘણીવખત ખેડૂતો અજાણ હોય છે, પણ આજે my samachar દ્વારા ખેડૂતો આ યોજનાઓથી અવગત થાય તે માટેની માહિતી અત્રે રજુ કરવામાં આવી છે.
-ટેકાના ભાવની યોજના
રાજ્યના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, કપાસ, તુવેર, મગ,અડદ, મગફળી, તલ, ઘઉં, ચણા, રાય અને શેરડીના પાકોનું ખરીદી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
-કૃષિ પેકેજ-પાક નુકશાની પેકેજ સહાય
રાજ્યમાં વાવોઝોડું, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કરા પડવા જેવી ઘટનાઓના કારણે રાજ્યના ખેડૂતોને સરકાર તરફથી પાક નુકશાની સામે રાહત મળી રહે તે માટે સહાય ચૂકવવામાં આવે છે.
-પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 01/02/2019 થી જાહેર કરવામાં આવેલ છે. આ યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ 6000 ત્રણ સરખા હપ્તામાંદર ચાર માસના અંતરે સીધા ખાતામાં જમા કરવામાં આવે છે.
-ટ્રેક્ટર સહાયની યોજના
આ યોજનામાં 40 હોર્સ પાવર સુધીના મોડલમાં ખર્ચના 25% અથવા રૂ. 45000/-ની મર્યાદામાં અને 40 હોર્સપાવરથી વધુ અને 60 હોર્સ પાવર સુધીના મોડેલમાં ખર્ચના 25% અથવા રૂ 60,000 /-ની મર્યાદામાં લાભાર્થીને સહાય ચુકવવામાં આવે છે.
-ખેત ઓજારોની ખરીદી માટે સહાયની યોજના
હાર્વેસ્ટર, થ્રેસર અને વેલ્યુ એડીશન વગેરે માટેના આધુનિક ખેત ઓજારમાં ખેડૂતોને સહાય કરી યાંત્રિકરણને વેગ આપવા માટે વર્ષ 2019/20 થી રાજ્ય સરકારશ્રીની યોજનાના સહાયના ધોરણોમાં 567% સુધીનો અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો.
-મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના
ખેડૂતોની ખેત પેદાશો વરસાદ, વાવાઝોડા વગેરે ઘટનાથી બચાવી શકાય અને ખેત પેદાશના સારા ભાવ મળે ત્યાં સુધી સંગ્રહ કરી શકાય તે માટે તના ખેતર પર ગોડાઉન બનાવવાની યોજનામાં ગોડાઉન દીઠ સહાયની મર્યાદા રૂ. 50 હજાર થી 1 લાખ કરવામાં આવી છે.
-ફળ, શાકભાજીના છૂટક વિકેતાને વિનામૂલ્યે છત્રી
રોડ સાઈડ પર ફળ, શાકભાજીના વિક્રેતા વેચાણ કરતા હોઇ છે, તેમને તથા ફળ, શાકભાજીને ગરમીથી રક્ષણ આપી તેની ગુણવત્તા જળવાય રહે તે માટે આ યોજના અમલમાં મુકેલ છે.
-દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજના
દેશી ગાય થકી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવે તેવા ખેડૂતને એક ગાય નિભાવ માટે રૂ.900 પ્રતિ માસ, અને રૂ. 10.800 પ્રતિ વર્ષના આપવામાં આવે છે.
-પ્રાકૃતિક કૃષિ કીટ
પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોને જીવામૃત વગેરે બનાવવા માટે એક બેરલ અને બે તગારા આપવાની યોજના છે.
-કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે વાહન સહાય
ખેડૂતો પોતાના ઉત્પાદનો બીજા બજારો સુધી પહોંચાડી શકે અને વધુ વળતર મેળવી શકે તે માટે 600 થી 1500 કિલોગ્રામ મણ વહન ક્ષમતા ધરાવતું વાહન ખરીદનાર ખેડૂતને કિંમતના 25% અથવા રૂ. 50 હજાર બે જે ઓછું હોઈ તે ચૂકવવામાં આવે છે.