Mysamachar.in-પાટણ
આજના સમયમાં સૌ કોઈ અલગ અલગ કપનીઓના સ્માર્ટફોન રાખે છે, અને આ સ્માર્ટફોન પૈકી અમુકમાં ક્યારેક બ્લાસ્ટ થવાની ઘટના અને એ ઘટનામાં મોતના બનાવો પણ સામે આવી ચુક્યા છે, ત્યારે રાજ્યનાં પાટણમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે, રાધનપુર હાઇવે પરના એક મોટર ગેરેજમાં એક વ્યકિતએ પોતાના ખિસ્સામાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. ગેરેજમાં આવેલ એક ગ્રાહકના ખિસ્સામાં અચાનક મોબાઈલ સળગ્યો હતો. આ સમગ્ર ઘટના ગેરેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે, વ્યક્તિએ સતર્કતા દાખવીને મોબાઈલને ફેંકી દીધો હતો, જેથી તેના જીવને કોઈ હાનિ પહોંચી ન હતી.
રાધનપુરમાં માનસી મોટર ગેરેજ આવેલું છે. આ ગેરેજમાં ભાડિયા ગામના કેટલાક લોકો આવ્યા હતા. જેમાં રાયચંદભાઈ ઠાકર પણ સામેલ હતા. તેઓ ઓફિસમાં બેસીને ગેરેજના સંચાલક સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અચાનક રાયચંદભાઈના ખિસ્સામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેમણે જોયુ તો ખિસ્સામાં રાખેલો મોબાઈલ સળગવા લાગ્યો હતો. તેથી સતર્કતા દાખવીને તેમણે મોબાઈલને ખિસ્સામાંથી કાઢીને નીચે ફેંક્યો હતો. જોતજોતામાં મોબાઈલનો ધુમાડો વધવા લાગ્યો હતો અને તે સળગવા લાગ્યો હતો. જો તેમણે સતર્કતા દાખવી ન હોત તો મોબાઈલ બ્લાસ્ટની ઘટનાથી તેમને પણ ઈજા પહોંચી હતી. રાધનપુરમાં બનેલા આ ઘટના મોબાઈલ વાપરતા લોકો માટે ચેતવણી રૂપ ઘટના હતી.