Mysamachar,in-જામનગર:દેવભૂમિ દ્વ્રારકા:
હાલારમા વીજધાંધીયા એ કોઇ નવી બાબત નથી તેમાંય એવુ કહેવાય છે કે બે છાંટા પડે ને લાઇટ ગુલ થાય પરંતુ આ તો રોજનુ થયુ તેમાંય વળી વરસાદ વખતે તો લોકો ત્રાહીમામ થઇ જાય છે ત્યારે કરોડોનુ આંધણ કર્યા બાદ પણ સામાન્ય વરસાદમા જામનગર સહિત સમગ્ર હાલારના અનેક ગામ અને વિસ્તારો લાઇટ વગરના છે,જેની ઢગલા બંધ ફરિયાદો ઉઠી છે,
ચોમાસામા વીજ પુરવઠો જળવાય રહે તે માટે પ્રિમોન્સુન કામગીરી વીજવિભાગ કરે છે,આ વખતે અંદાજે ૧૭ કરોડ રૂપીયા ખર્ચી આ કામગીરી કરાઇ જેમા મેન્ટેનન્સ,રીપેરીંગ,રીપ્લેસમેન્ટ સહીત કેટલીય બાબતોનો સમાવેશ પ્રિ-મોન્સુન કામગીરીમા થાય છે,તમામ ૩૨ સબડીવીઝનોમા આ કામો થયાનો તંત્ર નો દાવો છે,
પરંતુ વીજ ગ્રાહકોની જે વાયુ વાવાઝોડાની આગાહીથી માઠી બેઠી હતી તે હજુ આજ સુધી માઠી જ ચાલે છે,કેમ કે છેલ્લા ત્રણ દિવસથી લોકો વીજ પુરવઠા વગર ત્રાસી ગયા છે,અનેક વિસ્તારો અને ગામોમા ગઇકાલથી તેમજ પરમ દિવસ રાતથી લાઇટ ગઇ છે,તે હજુ આવી નથી, એક તરફ વરસાદ હોય બીજી તરફ લાઇટ ન હોય તો લોકો ના ટીવી,ફ્રીજ,કોમ્પ્યુટર,ફોન દરેક ઉપકરણો શોભાના ગાંઠીયા થઇ જાય તેમજ તબીબી સેવા સહિત મહત્વના કામ અટકી પડે માટે જ લોકો કહે છે કે સામાન્ય વરસાદમા આ સ્થિતિ થવાથી તારણ નીકળે કે રૂપીયા ૧૭ કરોડ પ્રિમોન્સુન કામગીરીના નામે વીજ વિભાગે પાણીમા નાંખ્યા છે,નહી તો સામાન્ય ફોલ્ટ ભારે પવન સાથે વરસાદથી થાય તે સમજાય પરંતુ ઠેર-ઠેર ટ્રાન્સફોર્મરોમા ધડાકા થાય,વાયરો તુટે,સંખ્યાબંધ ફ્યુઝ ઉડે,થાંભલામા તીખારા થાય વગેરે પ્રકારના અસંખ્ય બનાવ શા માટે બને?
દરેક સબડીવીઝનોમા ૧૦૦-૧૦૦ફરિયાદ…..જુજ જ એટેન્ડ થઇ
ગઇકાલે જામનગર શહેર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા મળી દરેક સબડીવીઝનમા થી એવરેજ ૧૦૦-૧૦૦ જેટલી ફરિયાદ આવી તેમાંથી જુજ જ એટેન્ડ થઇ…અને હજુ અનેક વિસ્તારમા લાઇટ નથી તેવા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે,અમુક વિસ્તાર કાલ આખો દિવસ ,અમુક આખી રાત,અમુક છ છ આઠ આઠ કલાક લાઇટ વગર હતા તો અમુકમા આજ સવારે છે…..ક લાઇટ આવી..અને હજુ અનેક ગામોમાંથી અને શહેરના વિસ્તારોમાંથી ફરિયાદ ચાલુ જ છે જ્યા વીજ પુરવઠો ઠપ્પ છે,દરેક સબડીવીઝન વાર ચાર ચાર ટીમો પણ ટુંકી પડી અને અનેક વીજ ગ્રાહકો હજુ લાઇટ વગર હેરાન થાય છે,એટલુ જ નહી ફરિયાદ ક્યા કરવી એ પણ સંખ્યાબંધ ગ્રાહકોને ખબર નથી તો અનેકને ફોન કર્યા બાદ ફોન ન લાગવા સરખા જવાબ ન મળવાના પણ અનુભવ થયા છે.