Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં મેઘરાજાએ કાલે બુધવારે બપોર બાદ વધુ એક વખત સટાસટી બોલાવી છે. ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોણાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ થયો છે. લાલપુર તથા જોડિયા પંથકમાં પણ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ લાલપુરમાં નોંધાયો છે, કાલાવડ બીજા ક્રમે છે.
જામનગરના કાલાવડ સહિતના કેટલાંક પંથકમાં મેઘરાજા વારંવાર મુલાકાત લ્યે છે જ્યારે ધ્રોલ પંથક હજુ મેઘરાજાની કૃપાથી વંચિત રહ્યો છે. લાલપુર તથા જામજોધપુર તાલુકામાં પણ વરસાદી વાતાવરણનો આરંભ થઈ ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ લાલપુરમાં અને બીજો ક્રમ કાલાવડનો રહ્યો છે.
જામનગરના જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, આજે ગુરૂવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન કાલાવડમાં પોણાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાલપુરમાં એક ઈંચ અને જામજોધપુરમાં અડધાં ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આંકડાઓ કહે છે: આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલાવડના ખરેડીમાં 4 ઈંચ થયો છે. બીજા ક્રમે પોણાં ત્રણ ઈંચ જેટલો વરસાદ જામજોધપુરના શેઠવડાળામાં નોંધાયો છે. 2 ઈંચ જેટલા વરસાદ સાથે આ જ તાલુકાનું ધૂનડા ત્રીજા ક્રમે રહ્યું છે. આ ઉપરાંત કાલાવડના નવાગામમાં દોઢ ઇંચ, જામજોધપુરના વાંસજાળિયા, લાલપુરના મોટા ખડબા અને જોડિયા તાલુકાના પીઠડમાં સવા સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
કાલના બુધવારના આ વરસાદ દરમિયાન કાલાવડ તાલુકાના ડેરી ગામમાં દોઢ વર્ષના બાળકનું તથા બે બળદના મોત બળદગાડું પાણીમાં તણાઈ જતાં થયા છે. આ ગાડામાં કુલ છ વ્યક્તિ હતાં, બે મહિલા સહિત પાંચને બચાવી લેવાયા હતાં જ્યારે દોઢ વર્ષના બાળક રવિ રિતેશભાઈ ડાવરનું પાણીમાં તણાઈ જતાં મોત નીપજયું.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના બમથિયા ગામનાં ગોગનભાઈ બુધાભાઈ નામના 45 વર્ષના વ્યક્તિનું વીજળી ત્રાટકવાથી ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું. આ વીજળીએ 40 ઘેટાંબકરાંનો પણ ભોગ લીધો. ગોગનભાઈ ઘેટાંબકરાં ચરાવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. કાલાવડના છતર ગામ નજીક એક પુલ પસાર કરી રહેલાં ધૂનધોરાજી ગામના એક વૃદ્ધને સ્થાનિક યુવાનોએ પાણીમાં તણાતાં બચાવી લીધાં હતાં પરંતુ આ વૃદ્ધનું મોટરસાયકલ વહેતાં પાણીમાં તણાઈ ગયું હતું.
