Mysamachar.in-પાટણ
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આજે વહેલી સવારે માર્ગ પરથી પસાર થઈ રહેલાં વાહનો સામ-સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીમાં આગ ભભૂકી ઊઠી હતી. જેમાં વેગનઆરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગઈ હતી, જેથી તેઓ 70 ટકાથી વધુ દાઝી ગઈ હતી. એને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
શંખેશ્વર-પંચાસર- દશાવાડા માર્ગ પરથી પસાર થતી વેગનઆર ગાડી અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એ બાદ બન્ને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. એને કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર બે લોકો આગની ઝપેટમાં આવતાં જીવતા ભૂંજાઈ ગયા હતા લોકોના ટોળાએ ગાડીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.હાલમાં બન્ને મુતકની ઓળખ કરવાની પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ પિકઅપ વાનના ચાલકની પણ શોધખોળ હાથ ધરાઈ છે.





