Mysamachar.in-જામનગર:
ગુજરાતનો આંતરમાળખાકીય વિકાસ ઉડીને આંખે વળગે તેવો જોવા મળી રહ્યો છે, જામનગર સહિત સમગ્ર રાજ્યના તમામ મહાનગરોમાં ફ્લાયઓવર, ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ/ અન્ડરપાસ બન્યા છે, બની રહ્યા છે અને આગામી સમયમાં બનવા જઈ રહ્યા છે. જામનગર પણ આ વિકાસયાત્રામાં જોડાઈ આગળ વધી રહ્યું છે અને અમદાવાદ, સુરત અને રાજકોટ માફક ‘મહાનગર’ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે, જામનગર શહેરને આ પ્રકારના કુલ 10 પ્રોજેક્ટથી સજ્જ કરી, વાહનવ્યવહારની સુવિધાઓ વધારવામાં આવી રહી છે.
જામનગર શહેરનો પ્રથમ ફ્લાયઓવર અંધાશ્રમ આવાસ યોજના નજીક બન્યો, જે જામનગર અને ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગને ખૂબ જ સારી રીતે ઉપયોગમાં આવી રહ્યો છે. આ રેલ્વેફાટકને કારણે અગાઉ કેટલી પરેશાનીઓ હતી તે સૌ જાણે જ છે. આ ઉપરાંત બેડેશ્વર-બેડીને જામનગર શહેર સાથે જોડતો ઓવરબ્રિજ અને ઢીંચડા સહિતના વિસ્તારોને શહેર સાથે જોડતો ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ પણ શહેરને ફાટકમુક્ત બનાવવાની દિશામાં અગત્યના બ્રિજ સાબિત થઈ રહ્યા છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ રેલ્વે અને રાજ્ય સરકાર સાથે મળી હાપા માર્કેટ યાર્ડ તરફના માર્ગ પર પણ એક ઓવરબ્રિજ બનાવ્યો છે, જે ટૂંક જ સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ સાથે જ શહેરના રાજકોટ રોડને સાત રસ્તા સર્કલ સાથે જોડતો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર પણ નજીકના સમયમાં પૂર્ણ થવાની તૈયારીઓમાં છે.
આ સાથે જ લાલપુર બાયપાસ નજીકના ધમધમતા ટ્રાફિક માટેનો ફ્લાયઓવર બની રહ્યો છે. ઠેબા ચોકડી તથા સમર્પણ સર્કલ પર પણ ફ્લાયઓવર નિર્માણની યોજનાઓ આગળ વધી રહી છે. આ અગાઉ જ સત્યમ કોલોની વિસ્તાર નજીક અન્ડરબ્રીજ બની ચૂક્યો છે અને સમર્પણ સર્કલ તથા ગોકુલનગર જકાતનાકા વિસ્તારને જોડતા માર્ગ પર પણ, સૈનિક ભવન નજીક રેલ્વે ફાટકની તકલીફો દૂર કરવા વધુ એક ઓવરબ્રિજ બનાવવા માટે, જમીન સંપાદન અને પાડતોડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે. આમ, અત્યાર સુધીમાં શહેરમાં કુલ 10 ફ્લાયઓવર, ઓવરબ્રિજ તથા અન્ડરપાસ માટેનું નેટવર્ક ગોઠવાઈ રહ્યું હોય, જામનગર શહેર અને જિલ્લામાંથી તથા જિલ્લા બહારથી આવતા જતાં લાખો વાહનોના ચાલકોની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણાં સ્થળોના ટ્રાફિક જામ તથા ફાટકની તકલીફો દૂર થઈ રહી છે. શહેરનો વાહનવ્યવહાર સરળ બની રહ્યો છે. શહેર મહાનગર બની રહ્યું છે અને જિલ્લામથકના સમગ્ર અર્થતંત્રને પણ આથી ગતિ પ્રાપ્ત થઈ રહી છે.

-સ્ટેન્ડિંગ કમિટીની આજની બેઠકમાં જાહેર થયું કે….
આજે ગુરૂવારે કોર્પોરેશનમાં કમિટીના સભાખંડમાં ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી કમિટીની બેઠકમાં, શહેરમાં આગામી સમયમાં કુલ રૂ. 141.69 કરોડના ખર્ચથી બનનારા વધુ 2 ફ્લાયઓવરના નિર્માણ માટેની મંજૂરી પ્રક્રિયાઓ આગળ ધપાવવામાં આવી. કમિશનરની 2 અલગઅલગ દરખાસ્તોના આધારે, સ્ટેન્ડિંગ કમિટીએ સમર્પણ સર્કલ ખાતે રૂ. 52.57 કરોડના ખર્ચથી બનનારા ફ્લાયઓવરને અને રૂ. 89.12 કરોડના ખર્ચથી ઠેબા ચોકડી ખાતે નિર્માણ પામનારા વધુ એક ફ્લાયઓવરની કામગીરીને લીલીઝંડી આપી દીધી છે. આ સાથે જ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જુદાજુદા વિકાસકામો તથા ખર્ચ માટે કુલ રૂ. 190.60 કરોડના અંદાજોને મંજૂરીઓ આપવામાં આવી. કોર્પોરેશનની આગામી ચૂંટણી અગાઉ શહેરને આ પ્રકારની વધુ ભેટ મળી શકે છે, એમ જાણકારો કહી રહ્યા છે.(ફાઈલ તસ્વીર)
