Mysamachar.in:ગુજરાત:
ડાયાબીટીસને આમ સામાન્ય રોગ ગણવામાં આવે છે પરંતુ લોકોમાં તેનું વધતું જતું પ્રમાણ અને આ રોગને કારણે દર્દીઓએ સહન કરવી પડતી મુશ્કેલીઓ દિવસે દિવસે જીવલેણ બની રહી છે કારણ કે, ગુજરાત સહિત દેશભરમાં આ રોગ વ્યાપક બની રહ્યો છે. ઘણાં કિસ્સાઓમાં વારસાગત લેખાતો આ રોગ ખાનપાનની ખોટી આદતોને પરિણામે પણ થતો હોય છે. ખાસ કરીને બાળકોને આ રોગથી બચાવવા જરૂરી છે.
સમગ્ર દેશની સાથેસાથે ગુજરાતમાં પણ ડાયાબીટીસનું પ્રમાણ વધી રહ્યું છે. નિષ્ણાંત તબીબો કહે છે, બાળકોને ગળપણ સામાન્ય રીતે વધુ ભાવતું હોય છે પરંતુ ખાનપાનની આ આદતો બાળકોને આ રોગનો શિકાર બનાવી શકે છે. જો કે ઘણાં કિસ્સાઓમાં આ રોગ બીજી અથવા ત્રીજી પેઢીએ વારસાઈ રોગ તરીકે પણ જોવા મળે છે. આમ છતાં લોકોએ ખાનપાનની આદતો સુધારવી જોઈએ.
એક અંદાજ મુજબ, દેશમાં 8 લાખથી વધુ બાળકોમાં ડાયાબીટીસ ટાઈપ વન આગળ વધી રહ્યો છે. આ ચિંતાપ્રેરક ટ્રેન્ડ દર વર્ષે પાંચ ટકાના દરે આગળ વધે છે. ટાઈપ વન ડાયાબીટીસ રોગમાં દર્દીનું વજન ઘટવા લાગે છે. તેઓને પાણીની તરસ પણ ખૂબ લાગે છે. તેથી તેઓને યુરીન પણ વારંવાર જવું પડે છે, આ ઉપરાંત આ દર્દીઓને ભૂખ પણ બહુ લાગતી હોય છે. જે બાળકો અથવા મોટેરાને વારંવાર પેટનો દુખાવો થતો હોય, ઉલ્ટી ઉબકાં આવતાં હોય કે બેભાન જેવાં થઈ જતાં હોય તેઓને ડાયાબીટીસ ટાઈપ વન હોવાની સંભાવનાઓ વધુ હોય છે.
ગુજરાતમાં 30,000 થી વધુ બાળકો ડાયાબીટીસ ટાઈપ વનના લક્ષણોથી પીડાઈ રહ્યા છે. દર વર્ષે આ બાળદર્દીઓની સંખ્યામાં 800 નો વધારો પણ થતો રહે છે. ડોકટરો કહે છે, બાળકની વધુ પડતું ગળપણ ખાવાની આદતને ધ્યાનમાં લેવી જોઈએ. અને બાળકમાં આગળ દર્શાવ્યા છે તેવા લક્ષણો જરા પણ દેખાય તો બાળકનું વેળાસર નિદાન અને સારવાર કરવા જોઈએ. જો શરૂઆતમાં જ નિદાન અને સારવાર થઈ જાય તો આગળ જતાં તે બાળક વધુ મુશ્કેલીઓથી બચી શકે છે. અને જો માતા અથવા પિતા બેમાંથી કોઈ એકને ડાયાબીટીસ હોય તો, આ પ્રકારના બાળકનું નિદાન સમયસર કરાવી લેવું જોઈએ.