Mysamachar.in-જામનગર:
કોર્પોરેશનમાં એક જ વર્ષમા રૂા.1.41 કરોડના ‘ઉપાડ’નો હિસાબ અઘ્ધરતાલ છે,એક તો નાણાભીડ છે,ત્યારે તસલમાત તરીકે અપાયેલી રકમ અંગે કોઇ સ્પષ્ટ હિસાબ ઓડીટ વિભાગમાં રજૂ ન કરાતા આ બેદરકારી અંગે એકાઉન્ટ વિભાગના અનેક ઓડીટપેરા નીકળ્યા છે,જોકે રાબેતા મુજબ તેની પુર્તતાની કોઇ દરકાર કરાઇ નથી.
કોર્પોરેશન તેના જુદા જુદા વિભાગોના અધિકારી-કર્મચારી કે અમુક એજન્સીઓને (મનાઇ હોવા છતાં) અમુક ઉચ્ચક રકમ આપે છે,બાદમાં ટુંક સમયમાં તે રકમના જરૂરી બીલ વગેરે રજૂ કરી વધઘટના હિસાબ દર્શાવી નાણા વઘ્યા હોય તો જમા કરાવવાના હોય છે,તાત્કાલીક કરવાની થતી આ કાર્યવાહી વધુમાં વધુ નાણાકીય વર્ષ પુરૂ થાય ત્યાં સુધીમાં તો ફરજીયાત કરી જ આપવાની હોય છે,પરંતુ જે છેલ્લો ઓડીટ રિપોર્ટ 15-16ના વર્ષનો પ્રસિઘ્ધ થઇ શકયો છે (આ પણ એક અલગ વિષય છે) તે મુજબ રૂપિયા 14142801ની તસલમાત અનકલીયર હોવાનું નોંધાયુ છે.
એક-બે-પાંચ કે સો-બસ્સો કે હજાર બે હજાર કે લાખ બે લાખ નહી દોઢ કરોડ જેટલી રકમ ઉચ્ચ અપાયા બાદ તેના કોઇ જ હિસાબ નથી,જે અંગે ઓડીટપેરા એકાઉન્ટમાં મોકલાયા તો તેની પુર્તતા થઇ નથી.વળી ખુબી એ છે કે વર્ષ 15-16 ના ઓડીટ માટે માત્ર તે એક જ વર્ષની તસલમાત દર્શાવાઇ તે પહેલાની નહી ખરેખર એકાઉન્ટ શાખાને કલીયર અને અનકલીયર તસલમાત, અગાઉની અનકલીયર, હાલની અનકલીયર અને કુલ અનકલીયર એમ આંકડા રજૂ કરવા જોઇએ પરંતુ તે કરાયુ નથી માટે ધીમે ધીમે જુના આંકડા ઓડીટને ભુલવાડી દેવા માંગે છે.
જાણકાર સુત્રો કહે છે કે કુલ અનકલીયર રકમ રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ છે,અને જેમના હસ્તક હોય તેમાંથી અમુક સસ્પેન્ડ થઇ ગયા છે,અમુક નિવૃત થઇ ગયા છે, અમુક ખાનગી પેઢી એજન્સીઓને અપાઇ હોય તે પેઢીઓ સાથેના હિસાબ-કિતાબ ઉભડક પુરા થઇ ગયા છે.અને વ્યવહાર પણ બંધ થઇ ગયા છે, અમુક રોજમદાર હસ્તક હોય તેનો છુટા પણ થઇ ગયા છે…!!!
આવી તસલમાત વ્યકિતગત, વીમા કંપનીને, કન્સ્ટ્રકશનન કંપનીને કાર્ગો કંપનીને, પેટ્રોલ પંપને વગેરેને અપાઇ છે.એટલું જ નહીં જિલ્લા કલેકટર હસ્તકની પાંચ લાખથી વધુની રકમની તસલમાત અનકલીયર છે,જે અંગે પણ કોર્પોરેશને દરકાર કરી નથી જેમાંથી 2015ની ચુંટણી વખતેની વાઉચર નંબર 8796-16-12-15થી રૂા.3 લાખનો ‘ઉપાડ’ હિસાબ વગર બોલે છે.
-ખાનગી પેઢીને મનાઇ છતાં અપાય છે
જામનગર મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીએ ઠરાવ કર્યો છે કે કોર્પો.ના કાયમી કર્મચારી સિવાય ખાનગી પેઢી કે રોજમદારને તસલમાત આપવી જ નહી અને વર્ષ દરમિયાન જ તસલમાતનો નિકાલ કરવો નહિ તો તે વ્યકિતના પગારમાંથી રકમ કાપીને લેવાની છે તેમ છતાં એકાઉન્ટ શાખા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના સને સમગ્ર કમીટીના ઠરાવને અવગણીને ખાનગી પેઢીઓને રકમ ઉચ્ચક આપે છે, વર્ષ દરમિયાન સરભર કરતા નથી, જુના ઉપાડ આગળ પેસી લગતના પગાર કે બીલમાંથી કપાતા પણ નથી.