Mysamachar.in-જામનગર:
હાલારમાં આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતી વચ્ચે ખેડૂતોના આપઘાત કરવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે મંદીના કારણે આ વર્ષ ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને કાઢવું મુશ્કિલ થઈ રહ્યું છે.બજારોમાં પણ મંદીની સીધી જ અસરો જોવા મળી રહી છે. ત્યારે લોન પર લીધેલ ઓટો રિક્ષાના હપ્તા સમયસર ન ભરી શકતા એક વ્યક્તિએ અંતે મોત વહાલું કરી લીધાનો વધુ એક બનાવ જામનગરમાં સામે આવ્યો છે, તો ધ્રોલ વિસ્તારમાં બહારના રાજ્યથી મજૂરી કામ કરવા આવેલ મજૂરે આર્થિકભીંસના કારણે આત્મહત્યા કરી હોવાનો કરૂણ બનાવ બન્યો છે,
આર્થિકભીંસના કારણે દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. તેવામાં જામનગરના નવાગામ ઘેડ માસ્તર સોસાયટીમાં રહેતા ભરતભાઈ ગુજરાતી નામના કોળી યુવાને લોન પર રિક્ષા લઈને ધંધો શરૂ કર્યો હતો પણ જોઈ તેવી કમાણી ન થવાના કારણે લોનના હપ્તા ભરી શકતો ન હતો. જેથી ગતરાત્રીના આખી રાત રિક્ષાનો ધંધો કરીને વહેલી સવારે પાંચેક વાગ્યે ઘરે આવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પરિવારમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.
જ્યારે ધ્રોલના સણોસરા ગામે બહારના રાજ્યમાંથી મજૂરીકામે આવેલ શિવનરેસિંહ ધનોખર નામના યુવાને આર્થિકભીંસના કારણે ટેન્શનમાં આવીને કંપનીની ઓરડીમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આમ આ વર્ષે મંદીના કારણે આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે સમાજજીવનમાં ચિંતા પ્રસરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.